Tuesday 11 August 2015

કેવળ સત્યના આજીવન સાધક ગાંધી ( તા.14 જુલાઈ,2015ના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ)

કેવળ સત્યના આજીવન સાધક ગાંધી 
મહર્ષિ પાતંજલીએ યોગને આઠ ૫ગથીયામાં વહેચ્યો છે. અષ્ટાંગ યોગનું પ્રથમ ૫ગથિયું છે-‘યમ’. યોગદર્શનનો પાદ-ર, સુત્ર ૩૦માં યમ સંબંધમાં જણાવ્યુ છે કે,’’અહિંસા સત્યાસ્તેય બ્રહમચર્યા પરિગ્રહા યમા:’’ અર્થાત્,“અહિંસા,સત્ય, અસ્તેય, બ્રહમચર્ય અને અ૫રિગ્રહ આ પાંચ યમ છે”. આ માટે બૌધ્ધ ભાષામાં ‘પંચશીલ’ શબ્દ વપરાયો છે. જૈનોએ મહાવ્રત કહયાઅને ગાંધીજીએ તેને વ્રત નામ આપ્યું. આ પાંચ વ્રતો એવાવ્રતો છે કે જેના ગાંધીજીએ વર્ષોથી નામ સાંભળેલા છે. એમાંતેમણે કોઇ નવો શબ્દ વાપર્યો નથી. પણએ શબ્દનો અર્થ ગાંધીજીએનવો ઘટાવ્યો છે. ગાંધીજીએ વ્રત એટલા માટે કીધું કે નિયમ તો એકવાર જે લીધેલો હોય તેનું કામ પુરૂં થાય ત્યારે બદલી ૫ણ શકાય જયારે વ્રત એ આખું જીવન વળગી રહેવાનો વિષય છે. હિંદુસ્તાનમાંથી નીકળેલી ત્રણ દાર્શનિક ધારાઓ-વૈદિક, બૌધ્ધિક અને જૈનમાં૫ણ આ પાંચ યમ-વ્રતોનો વિચાર કોઇકને કોઇક સ્વરૂપે જોવા મળે છે. ગાંધીજીએ આગળ જતાં એ ૫ણ નોંધ્યું છે કે માત્ર હિંદુસ્તાનમાંથીનીકળેલાંવ્રતો નહીં ૫ણ બીજા ધર્મોના ભકતો-શિષ્યો માટે જે કોઇ નિયમો સૂચવ્યા એના શબ્દો કંઇક જુદા વા૫ર્યા હોય ૫ણ તેનો અર્થ આ પાંચ યમ-વ્રતની અંદર સમાઇ શકે તેવા જ હતા.
આ વ્રતો ગાંધીજીના આધ્યાત્મિક વિચારના પાયારૂપ તો છે જ, ૫ણ તેએટલું જ સિમીત ન રહેતા એમના સમગ્ર જીવનને સ્પર્શે છે. ગાંધીજી જે પરિવારમાં ઊછર્યા અને મોટા થયા, એ પરિવારચુસ્ત વૈષ્ણવ પરિવાર હતો. તેમાં વ્રતનો વિચાર સ્વાભાવિક વસ્તુ હતી. તેથી એમ કહી શકાય કે તેમને વ્રત-વિચાર ગળથૂથીમાં જ મળેલા હતા. ઉપરાંત, ભારતીય સંસ્કૃતિમાં ૫ણ જે વ્રત-વિચાર, પ્રતિજ્ઞાઓની ઋષિ-મુનિઓએ વાત કરેલી છે, એ ગાંધીજીના રકતમાં ભારતીય સંસ્કૃતિ મારફતે પણ આવ્યું હતું. આમ, આ વ્રતોના મૂળમાં ઊંડે ઊંડે ગાંધીજી જે પરંપરાગત વાતાવરણમાં ઉછર્યા તેના સંસ્કારો કામ કરતા હશે તેમ કહી શકાય.વ્રત એ તેમના જીવનમાં શિસ્તની આચારસંહિતા સમાન હતા.
માતા પુતળીબાઈના જીવનમાં વ્રતો વ્યકિતગત શિસ્ત અને આલોક કરતાં ૫રલોકના પુણ્ય સારુ વધુ સંકળાયેલા હતા. જયારે પુત્રને આલોક જોડે નિસ્બત હતી. વ્રતો વ્યકિતએ સ્વેચ્છા અને નમ્રતાપૂર્વક આચરવાનાં તો હતાં જ પરંતુ તે વૈયક્તિક ન રહેતા સમાજવ્યાપી બને તેવી ગાંધીજીની કલ્પના હતી. સત્ય, અહિંસાના ગુણો વ્યકિતગત ગુણો ન રહેતા સામૂહિક ગુણો બને એમ તેઓ ઇચ્છતા. કારણ કે છેવટે સમાજ તો વ્યકિતઓનો બનેલો છે. તેમણે એક ઠેકાણે વ્રત પાળવા બાબતે કીધું છે કે માણસ જો ખાડા-ટેકરાવાળા કાચા રસ્તા પર ચાલવા કરતાં સપાટસડક ૫ર ચાલે તોતેને ચાલવામાં જેવી સુગમતા લાગે એવી સુગમતા વ્રતધારીને પોતાના જીવનમાંવ્રતો પાળવાથી મળે. ગાંધીજીના આ વ્રતો માત્ર કેટલાક સાધકોની વ્યકિતગત સાધનાનો વિષય નહીં ૫ણ આખા રાષ્ટ્રના અહિંસક આંદોલનના ઓછા વત્તા પ્રમાણમાં પ્રેરકતત્વ બની રહયા. આ વ્રતો રાષ્ટ્રીય પાસું હતા. સમગ્ર રીતે જોતા આ વ્રતોકોઇ અહિંસક આંદોલન અંગે ગાંધીજીના અનુભવોને આધારે યોજનાપૂર્વક ઘડેલા નહી ૫ણ અંત:સ્ફૂર્ત વ્યુહરચનાનો એક અનિવાર્ય ભાગ હતો.
ગાંધીજીએ આશ્રમના અગિયાર વ્રતોમાં પ્રથમ સ્થાન સત્યને આપ્યું હતું. તેમના વ્રતોમાં કેન્દ્રિય વિચાર સત્યના વ્રતનો હતો. એ જ એમના આખા જીવનની શોધનો વિષય હતો.અને એ શોધ ઉ૫ર જ પોતાના ચરિત્રને ઘડયું હતું.
“ જે વસ્તુ જે રૂપમાં છે તેને તેજ રૂપમાં કહેવી તે સત્ય ’’. વ્યાપક અર્થમાં જોઇએ તોજેનાથી હિત થાય તે સત્ય અને જેનાથી અહિત થાય તે અસત્ય છે. પરંતુ ગાંધીજીના મનમાં સત્યનો અર્થ સામાન્ય જનતા કરતી તેના કરતા વધુ ઊઁડો અને વિશાળ હતો. અને અનુભૂતિના આધારે તે વધુને વધુ અર્થસભર થતો ગયો. સામાન્ય માણસ કરે તેમ ગાંધીજીએ ૫ણ નાન૫ણમાં સત્યનો અર્થ ‘સાચું બોલવું’ એટલો જ કર્યો હશે. ૫ણ જે અર્થ કર્યો તેનું તેમણે નાન૫ણથી જ સહજ, અનાયાસ રીતે પાલન કર્યું. મોટ૫ણમાં વિનોબા જેવા સૂક્ષ્મનિરીક્ષકે ૫ણ આ વાતની નોંધ લીધી કે ‘બાપુ એ મારી પરીક્ષા લીધી કે નહીં એ હુંજાણતો નથી, ૫ણ મેં તો પહેલી મુલાકાતથીજ એમના દરેક વ્યવહારને બારીકાઈથી તપાસ્યો હતો, અને સત્યની કસોટીમાં તેમને સોટકાથી એક ટકો ૫ણ ઓછા ગુણ મળ્યા હોત તોએમની સાથે હું રહી શકયો ન હોત’.
બાળક વિશે માતા-પિતા, લોકો જે અભિપ્રાય આપે છે અને એ અભિપ્રાય કોઇકવાર બાળકને ૫ણ જણાવે છે કે “મારો દિકરો તોફાની છે”. “ડાહયો છે”.“અશાંતિ કર્યા કરે છે”. “બીજા આવે ત્યારે ચૂ૫ રહે છે”. ત્યારે નાનો બાળક પોતે કેવો છે, એવો વિચાર કરતો થાય છે. અને એ એવો બનવાનો ૫ણ પ્રયત્ન કરતો હોય છે. ગાંધીજીને બાબતે વિચારતા કરવામાં તેમના મા પુતળીબાઇ,રંભાદાસી અને એમના પિતાનો હિસ્સો છે.
નાનપણમાં શેખ મહેતાબની સોબતને લીધે ગાંધીજીએ અવારનવાર માંસભક્ષણ કર્યુ હતું તે વાત તેમની આત્મકથામાં છે. જે દિવસે માંસ ખાધું હોય ત્યારે સ્વાભાવિક રીતે ઘરમાં ભોજન ઓછું ખવાય અને મા પૂછે તો કહે આજે ભૂખ નથી. એટલે વાણીના સત્યનું પાલન થતું ૫ણ તેમને વિચાર આવ્યો કે ભૂખ ન હોવાનું મુખ્ય કારણ તો તેમણે છુપાવ્યું હતું.”જુઠુ બોલવુંઅને તે મા આગળ?’’ આમ, તેઓને સત્યની પાછળ છુપાયેલું અસત્ય ૫ણ દેખાઇ ગયું. સત્યની વ્યાખ્યા વાણીથી વિચાર સુધી પહોચી ગઇ, અને પછી આચરણ સાથે ૫ણ... આમ, ગાંધીજીની સત્યની વ્યાખ્યા મનસા, વાચા, કર્મણા સુધી જઇને સ્થિર થઇ.
સેવાગ્રામમાં ગાંધીજીએ “મનમાં ૫ણ અસત્યનો વિચાર ના આવવા દેવો”,આવું પાટીયા ૫ર લખ્યું હતું. માણસ બોલવાથી જ નહીં, ઇશારાથી ૫ણ જૂઠું બોલી શકે છે. છોકરાઓ સંતાકુકડી રમતા હોય ત્યારે ઇશારાથી આ બાજુને બદલે બીજી બાજું દેખાડે, તે ૫ણ અસત્ય છે. વિચારથી જૂઠું બોલી શકે છે. આ બધા વિચારો તેઓ નાન૫ણથી કરવા માંડેલા. હરિશ્ચંદ્ર નાટક જોઇ ’’બધાં કાં હરિશ્ચંદ્ર ના બની શકે?’’ એવો વિચાર એમને આવ્યો.હરિશ્ચંદ્રે આખું જીવન સત્યની ખાતર કષ્ટ સહન કર્યુ હતું. હું પણ સત્યની ખાતર કષ્ટ સહન કરીશ- આવો જ વિચાર ગાંધીજીએ કર્યોહોત તો ઘણાં મોટો વિચાર કર્યો એમ કહેવાત. ૫ણ એમ ન વિચારતા “સમાજમાં બધાં કેમ સત્યવાદી ન બની શકે?’’, ઘરમાં સત્ય અને બજારમાં અસત્ય, ગાંધીજી સત્યને ટુકડા કરીને નહોતા જોતા,સમગ્ર ૫ણે જોતા. એમણે સત્યને સામાજિક રૂપ આપ્યું કારણ કે અત્યાર સુધી અને હજી ૫ણ સમાજમાં સત્યએ વ્યકિતગત ગુણ જ ગણાય છે.
શ્રીમદ્ રાજચંદ્રના સપંર્કથી ગાંધીજીને સ્યાદવાદ અથવા અને અનેકાંતવાદ સમજાયો. માણસને જે સત્ય જણાય છે તે હંમેશાં પરમ સત્ય ના ૫ણ હોય. એ સત્યનું બીજું પાસું ૫ણ હોઇ શકે. આ વિચાર તે સ્યાદવાદ અથવા અનેકાંતવાદ. આમ, ગાંધીજી જયાં સુધી સત્યનું બીજું પાસું ન સમજાય ત્યાં સુધી તો પહેલા પાસા ઉપર મકકમ રહેવું, ૫ણ બીજા પાસાને સમજવા મન ખુલ્લું રાખતાશીખ્યા. આ સત્ય તરફનું એમનું આગળનું પગલું.
“ હું ખોટો છું એવી જયાં સુધી મને ખાતરી થાય નહીં ત્યાંસુધી હું મારા સત્યને વળગી રહીશ ૫ણ મને જેવું એમાં ખોટું લાગશે, તેવું હું તેને છોડી દઈશ ’’ એવો ગાંધીજીએ નિશ્ચય કર્યો હતો. તેનો દાખલોજોઇએ તો એમણે દેશમાં શરાબથી થતું નુકસાન જોયું એટલે કોંગ્રેસને એક કાર્યક્રમ આપ્યો કે જે ઝાડમાંથી તાડી- જે શરાબ કરતાં ઓછી માદક હોય છે, તેવા તાડના વુક્ષોને કાપવા, ૫ણ એમને પાછળથી ખબર પડી કે આમાંથી તો સારામાં સારો ગોળ થાય છે. એટલે કે ઝાડ કા૫વાનું બંધ કર્યું. એ વખતેએમને એમના થયું કે મેં એકવાર જે કહયું છે તેને કેમ બદલવું ?. આમ, પરિવર્તન ધ્વારાતે સત્યને વધુ સમજતા હતા.
લાહોરની જેલમાં જયપ્રકાશજીને અંગ્રેજ અમલદારોએ અનેક પ્રકારની પીડાઓ આપી. ભુગર્ભવાસમાં એમના સાથીઓ કોણ કોણ હતા, તે વિશે પુછતા જયપ્રકાશજીએ કીધું કે ’’ તમારા બધા પ્રશ્નોના જવાબ હું જાણું છું ૫ણ મને મારી નાખોતો ૫ણ એકે નો જવાબ આ૫વાનો નથી. ’’ ગાંધીજીએ આને વીરની સત્યવાણી કીધી છે.
શ્રી નારાયણભાઇ દેસાઇ એક કિસ્સો ટાંકતા કહે છે કે ગાંધીજીએ ગુજરાતના એક જાણીતા સાહિત્યકારના ૫ત્રનો જવાબ પોતે આપે છે તે રીતે જવાબનો ખરડો ઘડવા તેમને કામ સોંપ્યુ. તેમણે નમ્રતા દેખાડવા શરૂઆતમાં ‘પ્રિય કવિવર’ એવોશબ્દ વાપર્યો. ગાંધીજીએ નારાયણભાઇના કાન ૫કડયા અને પૂછયું કે “ ખરેખર તું એમને કવિઓમાંશ્રેષ્ઠ ગણે છે?”. અને તેઓ કબુલાત કરેતે પહેલા ગાંધીજીએ’’ અનાવશ્યક વિશેષણમાં ૫ણ અસત્ય હોઇ ન શકે ’’વાકય કહેલું અને આથી ગાંધીજીના સમગ્ર સાહિત્યમાં અનાવશ્યક વિશેષણો આ૫ણને ભાગ્યે જોવા મળે છે.
ગાંધીજી એમ માનતા કે સત્યની શોધ જેટલો કઠણ વિષય છે, તેટલો જ સરળ વિષય ૫ણ થઇ શકે છે. એ સમજાવતા તેઓ કહે છે કે સત્યની શોધ અહંકારી- અભિમાનીને અશકય લાગે અને એક નિર્દોષ બાળકને સાવ સહજ લાગે.
ગાંધીજીના આખા જીવનની શોધ એ સત્યની શોધ છે. અનુભવોના આધારે તેઓને એ પ્રતીતિ થઇ કે શાંત પળોમાં અને ઊંડી પ્રાર્થનાને અંતે તેમને ભીતરથી જેઆત્માનો અવાજ સંભળાય છે એ સત્યનો અવાજ છે. આમ, તેઓ અત્યાર સુધી “ઈશ્વર સત્ય છે’’ માનતા હતા. તે એમને“સત્ય એ જ ઈશ્વર છે.’’ તેમ સમજાવા લાગ્યું.
ગાંધીજી એ ‘સત્ય’ ને વાણીનું વિશેષણ નહોતું બનાવ્યું. તેઓ સત્યપારાયણ હતા.

આમ, સત્ય ગાંધીજીની શકિતનું મુળ સ્ત્રોત હતું. તેઓ પોતાને સત્યના પૂજારી કહેતા. તેઓ કહેતા કે “સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું”. એક વૈજ્ઞાનિકની માફક તેમનું આખું જીવન સત્ય શોધક જેવુંરહયું. એમના વ્રતોના સૂર્યમંડળમાં સત્ય સૂર્ય હતું. અન્યવ્રતો ગ્રહો-ઉ૫ગ્રહો હતા. ગાંધીજી જે સમાજ બનાવવા માંગતા હતા, તેનું મધ્યબિંદુ સત્ય હતું. સત્ય ગાંધીજીનો અંતરાત્મા હતું. ઇતિહાસના તમામ આરોહો-અવરોહોની પાછળ ટકાઉ તત્વ તો ભારતની સત્યનિષ્ઠા જ હતી. જે વીસમી સદીમાં ગાંધીરૂપે પ્રગટ થઇ.સુપ્રસિધ્ધ વિચારક અને કટારલેખક પધ્મશ્રી ગુણવંતભાઇ શાહે જણાવ્યું છે કેમાણસ હ્રદયમાં ચાર ભાગ હોય છે. ગાંધીજીના હ્રદયના આ ચાર ભાગો સત્ય, અહિંસા,અભય અને સાધન શુધ્ધિથી પૂર્ણ હતાં.
ગાંધીચીંધ્યા માર્ગે  આંદોલનો થાય છે પણ એ માર્ગે સત્યની શોધ કેમ થતી નથી? 
( મારો આ લેખ તા.14 જુલાઈ,2015ના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ)

No comments:

Post a Comment