Thursday 7 January 2016

એક ઉજ્જવલ શિખર સમા જગ હિતકારી: સોનલ આઈમા (તા.06 /01/2016ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલ છે.)

એક ઉજ્જવલ શિખર સમા જગ હિતકારી: સોનલ આઈમા (અહીં ક્લિક કરો.)


એક ઉજ્જવલ શિખર સમા જગ હિતકારી: સોનલ આઈમા


રામકૃષ્ણ પરમહંસે 'ભાવ' દ્વારા જ પંડે ભગવાન સાધેલા તેમ આઈમાને શિવમય બનીને જગવલ્લભા બનતા વાર ન લાગી.

જૂનાગઢ જીલ્લાનું કેશોદ તાલુકાનું મઢડા ઘણું જુનું ગામ છે. ઇતિહાસ અને વહિવટમાં એનું સ્થાન મહત્ત્વનું ન હતું પણ સંવત ૧૯૮૦, પોષ સુદ-૨, મંગળવાર, ૮મી જાન્યુઆરી, ૧૯૨૪ના રોજ સોનલમાનું પ્રાગટય થતાં મઢડા સૌનું તીર્થ સ્થાન બની ગયું. તેમને સૌ 'આઈમા' કહેતા.
માતા-પિતાની સાથે દરરોજ મંદિરે જાય... કથા-કિર્તન સાંભળે... આરતી ગાય...વ્રત-તહેવારમાં નાહી-ધોઈ પૂજા-ઉપવાસ કરે. આઈમાના ધર્મશિક્ષણની આ નિશાળ અને તેમાં થયેલ તેમના આચાર-વિચારનું ઘડતર ! આમ, આજની દ્રષ્ટિએ આઈમા કશું નહોતા ભણ્યાં પણ સંસારની દ્રષ્ટિએ વધુ ભણ્યાં હતાં એમ કહી શકાય. લાલ જીમી, રેશમી કાપડું, ઝીણી લાલ ઓઢણી, વાંકડીયા વાળ, ખભા ઉપર કાળા ઉનનો ભોળિયો, પગમાં કાંબીયું અને હાથમાં સરલ, બુલંદ કંઠ, સંગીતનું આકર્ષણ, સાત્વિક યોજના અને સાહસી વિચારો.
આ તો થઇ બાહ્ય ઓળખ... પણ આ 'બહુરત્ના વસુંધરા' જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આધારસ્તંભો પૂ. બ્રહ્માનંદ સ્વામી, પૂ. દેવાનંદ સ્વામી અને પૂ. પૂર્ણાનંદ સ્વામી જન્મ્યા હતા તે ચારણકુળમા આઈમાનો જન્મ થયો. અનેક આત્મજ્ઞાાનીઓ થવાની સાથે આઈ સોનલમા પણ આધ્યાત્મિક વિશ્વની વિલક્ષણ ઘટના છે. 'જન્મજાત આત્મજ્ઞાાની' એવા આઈમાએ આંખ ખોલી ત્યારથી અદ્વૈત ભાવમાં જીવી રહ્યા હતા. રામકૃષ્ણ પરમહંસે 'ભાવ' દ્વારા જ પંડે ભગવાન સાધેલા તેમ આઈમાને શિવમય બનીને જગવલ્લભા બનતા વાર ન લાગી. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવા મન, વાણી અને કર્મથી બ્રહ્મચર્યનું વ્રત લીધું. આ જ ક્ષણથી તેઓ 'માતાજી' બન્યાં.
મહાવીરના અનુયાયીની રાહે અને ઉપનિષદો પણ પશુ-બલિનો તો ઠીક પણ દ્રવ્યોના બલિનો પણ પક્ષ લેતા નથી. આઈમાએ પણ માતાજી-દેવોના નામે થતાંપશુ-બલિદાનો બંધ કરાવી માગણવૃતિની હિનતાને પડકારી, ધૂણવા-ધકવાના દંભ અને ઢોંગને નબળા મનની પેદાશ કહી પાંચ 'વ-કાર' વ્યસન, વહેમ, વ્યભિચાર, વિક્રય, અને વ્યવહારલોપથી કાયમ મુક્ત રહેવાના આદેશોનું પાલન કરવાનું જણાવ્યું.
સેવા કાર્યોને હંમેશાં અવગણના, વિરોધ અને છેલ્લે સ્વીકારની સ્થિતિમાંથી પસાર થવું પડે છે. આઈમાએ પણ ભગવાન બુધ્ધના કરુણા અને જીસસના પ્રેમ પંથ ઉપર ચાલતા ચાલતા આધ્યાત્મિક આત્મ-સાધનાના પ્રભાવથી જીવન દરમિયાન ભયંકર વિષમતાઓ-ઉશ્કેરણીજનક પ્રસંગોમાં પણ મનનું સમતોલપણું જાળવી પ્રતિહિંસાથી દૂર રહી સહનશીલતા દાખવીને સત્ય, શાંતિને-ધર્મને કાંટે તોળાવાનું પસંદ કર્યું. તેઓ કાયરતાને મખમલી અંચળામાં ઢાંકનારા અહિંસાવાદી નહીં પણ વીરતાવાદી હતા. ક્રાંતિ અને હિમાલયની શાંતિના એક સાથે દર્શન થતાં. એમનામાં જગ હિતકારી મંગળ તત્ત્વનું પ્રતિબિંબ દેખાતું હતું.
મહાત્માઓ, સંતો, તપસ્વીઓનો સંગ, ભારતના લગભગ બધા જ તીર્થસ્થાનોના પ્રવાસની સાથે સાથે ઉપનિષદો, શાસ્ત્રોનો અભ્યાસ અને હૃદયમાં જગદંબાનું અહર્નિશ સ્મરણ. ચાલતા રહેવું એ માતાજીની જીવનચર્યા હતી. આમ, કર્મયોગ સાથે જ્ઞાાન અને ભક્તિ જોડાયા. ત્રિવેણી સંગમ જોવા મળ્યો.
દેશમાંની સ્ત્રીઓની સ્થિતિ એ દેશના વિકાસ માટેનો અરીસો છે. અને તેથી જ આઈમા કન્યા કેળવણીના ખૂબ જ હિમાયતી રહ્યા. વિદ્યાધામો, છાત્રાલયો બંધાવ્યા. તમારો દીકરો ન ભણતો હોય તો બીજાના દીકરાને ભણાવવા મદદ કરજો.એ પણ આપણો જ બાળક છે, એનું જીવન સુધરશે, આપણને લાભ થશે. કહેતા આઈમાએ સમાજના ઉત્થાન માટે ભણતરનો રાહ બતાવ્યો. ગૃહસ્થાશ્રમમાં પવિત્રતા, નીતિ અને ભજનનો ત્રિવેણી સંગમ પેદા કરવાનું કહેતા.
સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌરાષ્ટ્રમાં પાકિસ્તાન રચવાની માગણી કરતા જૂનાગઢ નવાબને જૂનાગઢ રાજ્યનું વિલિનીકરણ કરી માંગરોળના શેખ, બાંટવાના તાલુકદારો, રાજપૂતો અને ચારણોને પણ પોતાના સ્વતંત્ર ગામ-ગરાસ સાથે ભારતસંઘમાં જોડાવા સમજાવી ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપેલ. માંડવી અને પ્રજાસત્તાકદિને ગાંધીજીના સત્ય, અહિંસા, ત્યાગ અને શ્રમના હથિયારથી ભારતને આઝાદી અપાવી ગાંધીજીના ત્યાગચિત્ર અને ત્યાગ વિશે લોકોને પોતાના ભાષણમાં સમજાવ્યું.
તા. ૨૭ નવેમ્બર, ૧૯૪૭ના રોજ તેમણે સ્વધામ પ્રયાણ કર્યું. એક ઉજ્જવલ શિખર સમા તેમણે કોઈ સ્મારક અને સમાધિ, ગાદી અને પીઠોનો મોહ ન રાખ્યો. નિષ્પક્ષ, નિવૈર, નિર્ભય જીવન જીવી સર્વની સાથે સંવાદિતતા સાધી. પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે અનેકોને માર્ગદર્શન આપ્યું.
- સતીશ શામળદાન  

No comments:

Post a Comment