Friday, 28 August 2015

‘મંદિરો ચણવા’ અને ‘મંદિર બની જવું’ ( ' અખંડાનંદ ' મેગેજીન ડિસેમ્બર- 2015ના અંકમાં પ્રકાશિત થયેલ છે.)



કન્નડ સંત વસવન્નાએ વીરશૈવ સંપ્રદાયને નવું જીવન આપ્યું. વીરશૈવ સંતોની વાણીને કન્નડ ભાષામાં ‘વચન’ કહે છે. આ વાણી સંતોના નિર્મળ હૃદયમાંથી સીધી જ ઉઠે છે અને અન્ય હૃદયો સાથે તાલ મિલાવે છે. લગભગ દસમાં સૈકાથી જ દક્ષીણમાં મહાલય જેવા ગગનચુંબી મંદિરો બાંધવા લાગ્યા હતા. ધનિકો તરફથી પુષ્કળ દ્રવ્ય દાનમાં મળતું હતું. માનવમાં રહેલ અંતર્યામી દેવતા દબાઈ ગયો અને અલંકારોથી ઝળહળતી રત્નજડિત પત્થરોની મૂર્તિઓ પૂજાવા લાગી હતી. તે વખતે સંત વસવન્નાનું એક જ વચન કે જેમાં કબીરની નોબત અને મીરાની બંસીનો સુર સંભળાય છે:
ધનવાનો
શિવ માટે મંદિરો ચણશે
હું શું કરીશ, એક ગરીબ માણસ?
મારા પગ સ્તંભ છે.
શરીર છે મંદિર
અને મસ્તક છે
સોનાનો કળશ
હે સંગમેશ્વર, સાંભળો!
સ્થિર ઉભેલી વસ્તુઓ પડી જશે,
પણ ચાલતી સદાયે સ્થિર રહેશે.
જે ચાલે છે, સદા ગતિમાન છે, શિવત્વથી ધબકતું છે તેનો કદી નાશ નથી. ઉપનિષદોનો એક મંત્ર છે: ’ગુહાયાં નિહિતો’ - ગુહામાં રહેલો આત્મા. એની ઉપાસના કરવાને બદલે આપણે પાષાણની, પ્રતીકની પૂજા કરતા થઈ જઈએ છીએ, ત્યારે તેની સાથે આપણી જાત પણ પ્રાણને ગુમાવી પાષાણ જેવી બની જાય છે. શરીર જ જીવતું મંદિર છે. જ્યાં જ્યાં પગ પડે છે ત્યાં પવિત્રતાનો પગ-સ્તંભ રોપાય છે...ધરતીની ધૂળને ધન્ય કરે છે. આવી રીતે ચાલતા ચરણો અને ચમકતા ચિત્ત કરતા બીજું કયું મંદિર શિવનું દર્શન કરાવશે? ગાંધીબાપુએ ઈશ્વરનું વર્ણન કરતા ‘દીન ભંગી તણી કુટિયા મહીં’ કહ્યું છે.
સંત વસવન્ના બીજા એક વચનમાં કહે છે:
‘વૃક્ષનું મુખ છે તેનું મૂળ, ત્યાં પાણી સીંચો, તેને તળિયે અને જુઓ, મથાળે ફૂટશે લીલો અંકુર.
ભગવાનનું મુખ છે આ હરતા-ફરતા મનુષ્યો,
તેમને તૃપ્ત કરો, ભગવાન તમને પોતાનું સર્વસ્વ આપી દેશે.’
વળી, આત્મા સુક્ષ્મથીયે સુક્ષ્મ અને મહાનથીયે મહાન છે. તેના વિષે વધારે સ્પષ્ટપણે કહેતા ઉપનિષદ અંગુલીનિર્દેશ કરે છે: ‘સર્વ ભૂત ગુહાશય:’- સર્વ પ્રાણીઓના અંતરમાં એ રહ્યો છે અને છતાં તે ‘સર્વગત: શિવ:’ સર્વવ્યાપી શિવ છે. ચાણક્યે કીધું છે કે: ઈશ્વર લાકડામાં, માટીમાં કે મૂર્તિમાં નથી. તે તો ફક્ત ભાવનામાં જ રહે છે.
અલ્લામા એક ‘વચન’ માં કહે છે:‘             જરા જુઓ તો!
આ પગ છે બે પૈડાં અને શરીર છે ગાડું
તેમાં પાર વિનાની ચીજો ભરી છે.
પાંચ જણ જોતરાઈને આ ગાડાને ખેંચી રહ્યા છે,
અને તેમાંથી એકેય બીજાને મળતો આવતો નથી.
તમે જો આ ગાડા પર ચડી રાશ હાથમાં નહિ લો,
તો ધરી જ ભાંગી પડશે, ઓ ગુહેશ્વર!’
અલ્લામાને માથે તેમની પત્ની કામલતાના થોડા દિવસના તાવમાં મૃત્યુ થતાં વજ્રઘાત થયો, દિશાઓ શૂન્ય બની ગઈ. ‘કામલતા! કામલતા!’ એવી ચીસો પાડતા ભટકવા લાગ્યા. લોકોએ તેમણે પાગલ ગણી કાઢ્યા. અલ્લામાને ભારે મારતી, ચોતરફ ઘુમાવતી અને ભાંગેલા કાળજાને આરે લઇ મુકતી કઈ વસ્તુ હતી? એ હતી ભગ્ન કામનાના વેરણ છેરણ ટુકડા અને સાથે જોતરાયેલ પણ જુદી જુદી દિશામાં ઢસડી જતી ઇન્દ્રિયો... આપણા શરીરને પણ આવી, રખડું બળદ જેવી ઇન્દ્રિઓ તથા ગમાર ગાડાખેડું જેવું મન ભેળા મળીને ભેખડે નથી ભરવી દેતા? તો હવે આપણે ગુહેશ્વરને ગાડું હાથમાં લેવાની વિનવણી કરીએ. આપણી હદયગુહામાં બેઠા છે એ કોઈ પત્થર તો નથી તે આપણો પુકાર ન સાંભળે!
આ શરીરમાં જ આખુયે મંદિર હોય તો
જરૂર શી છે બીજું શોધવાની?
કબીરે કીધું છે: ‘ જે કાટૌં તો ડહડહી, સીંચો તો કુમિલાઈ
                ઇસ ગુણવંતી બેલીકા કુછ ગુણ કહ્યા ન જાય.’
ગોરખનાથે પણ આ જ વાત કહી છે: ‘કાટત બેલી કુંપલ મેલ્હી, સીંચતાડા કુમલાંયે’.
જો કાપો તો ફૂલેફાલે અને સીંચો તો સુકાઈ જાય. આ જીવનવેલીના ગુણ કહ્યા જાય તેમ નથી. વાસના-તૃષ્ણાના મુળિયા કાપી નાખવામાં આવે તો આપણામાંથી જ કામનામાત્રનું દહન કરતા, આત્મતૃપ્તિનો ઉઘાડ કરતો શિવ પ્રગટે છે.
ગાંધીજીને વારંવાર પૂછવામાં આવતું કે તમારો રામ કોણ છે? તો તેમણે આ જ પરમ-રમણીય સર્વાંતર્યામી આત્મારામનો નિર્દેશ કરેલો.
પિંગળશીભાઈ ગઢવીએ છાત્રવાના મુળુ આતા (મેર લોકો ચારણોને ‘આતા’ કહે છે) જેવા ખેડુની કોઠાસૂઝની સાવ સીધી ભાષામાં સંસારમાં રહીને કરવાના કામોની વાત કરી છે.  મુળુ આતા એટલે અભણ, એટલે સાદી સીધી એની વાત:   
“ દેને કુ ટુકડા ભલા, લેને કુ હરિનામ. બંને તો પાંચ માળા કરવી. સ્થિતિ પ્રમાણે હાથ લંબાવવો. કોક કહેશે કે, આપણે ગરીબ માણસ શુ કરીએ...? ભલે આપણે તળાવ ન બંધાવી શકીએ, પણ પોતાની ઝુંપડીને નેવે સીકું બાંધી ઘડાની ઠીબ મુકીને બે કળશિયા પાણી તો રેડી શકીએ ને? પંખીડા આવીને ત્યાં પાણી પીએ, ઈ આપણું તળાવ! દળણું દળીને જે સોંણ-ઝાટકણ ચપટી ચાંગળું નીકળે, તે ચકલા ચણી જાય એવે ઠેકાણે નાખીએ; ઠામ-વાસણનો એઠવાડ કૂતરાની ચાટમાં નાખીએ, એ આપનું સદાવ્રત! મોટી ધર્મશાળા ભલે બંધાવી ન શકીએ, પણ બે-ચાર ઝાડવા તો આપણે ઉછેરી શકીએ ને? એ આપણી ધર્મશાળા! – જેને દરવાજો જ નહિ. ગમે તે અને ગમે ત્યારે આવે ત્યાં પોરો ખાવા.” લાંબા હાથવાળી કોદાળી લઈને ઉપડે ખેતરે..રસ્તાના ખાડા, ખાબોચિયા, પથરા, કાંટા નડતર કરતા હોય તેને શોધી શોધીને, કોઈ મોક્ષપંથનો વાટેમાર્ગુ કામ-ક્રોધ ને ઈર્ષા-તૃષ્ણાનાં જાળાં સાફ કરતો હોય તેમ, રસ્તાને સમારતા જાય. કહે કે, “ એ મૂંગા જીવ બિચારા કોને કહેશે કે, આ વાટના ખાડાના ઓચિંતાના આંચકાથી અમારી કાંધ ભાંગી પડે છે?” પશુ પંખી સાથે એકરૂપતા, વૃક્ષ-વનસ્પતિ સાથે એકરૂપતા અને એમ કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતા.. આ છે ભારતીય ચિત્ત!
‘મંદિરો ચણવા’ અને ‘મંદિર બની જવું’- આ બે વચ્ચે કેટલો તફાવત છે.!
સતીષ શામળદાન ચારણ
(મો) ૯૪૨૮૨ ૧૯૦૩૧

sscharan_aaa@yahoo.co.in

Thursday, 13 August 2015

“અહિંસા” આખી સંસ્કૃતિને સ્પર્શ કરનાર શબ્દ


પ્રકૃતિએ આહાર પ્રમાણે પ્રાણીની આહાર મેળવવાની ક્ષમતા તથા પાચન તંત્રની રચના કરી છે. માંસભક્ષી પ્રાણી પાસે બીજા પ્રાણીનો શિકાર કરવા માટે ઝડપ, સ્ફુર્તિ, તેજ દ્દષ્ટિ,તીક્ષ્ણ નહોર, તીક્ષ્ણ દાંત આદિની જરૂર છે. માણસ આ દરેક ક્ષેત્રે પાછળ છે. તેથી માણસને પ્રકૃતિએ માંસાહારી ઘડયો નથી. સૃષ્ટિમાં ભાર, કદ,બળ,બુધ્ધિ અને આયુષ્યમાં ચડિયાતા બધાં પ્રાણીઓ લાંબુ જીવે છે. માંસાહારની પશ્રિમી વ્યાખ્યાઓ સગવડિયા છે. પૂર્વની વ્યાખ્યા કડક છે. છતાં શરીર ટકાવી રાખવા માણસે કાંઇકને કાંઇક હિંસા તો કરવી જ પડે છે. માણસો અને જાનવરોનો ઝગડો પણ છે. માણસે હજી પોતાના અંદર-અંદરના ઝઘડા શમાવ્યા નથી. અને પોતાના પેટમાં જાનવરોને ઠાંસી ઠાંસીને જીવે છે. માણસને હજી પોતાના ઝઘડા શમાવતાં આવડતું નથી અને પોતાનાથી દૂબળાં  જે જાનવરો છે તેમને ખાધા વગર જીવતાંયે આવડતું નથી. આદિમાનવ ઘણું ખરું કંદમૂલ-ફlળાહારી અને આગળ જતાં દુર્મતિવશ માનવ સમાજનો મોટા ભાગ માંસાહારી બન્યો, તે વાત ડાહયા-ઉત્તમ માણસોને નગમી અને એવું બંધન મૂકયું કે માંસ ખાવાનું થાય તો યજ્ઞમાં હલાલ પશુનું જ ખાવું. આ બંધન-હેતું હિંસા ઉપર અંકુશ મુકવાનો હતો. કેટલાંકે માંસનો પુરોપુરો ત્યાગ કર્યો. પણ જેમનાથી ત્યાગ થઇ શકે તેમ નહોતું તેમણે યજ્ઞમાં પરમેશ્વરને અર્પણ કરી, કંઇક તપસ્યા કરી માંસ ખાવું એવી પરવાનગી મળી અને યજ્ઞ સામાન્ય વાત બની ગઇ. જેને ફાવે તે યજ્ઞ કરવા નીકળી પડે, યજ્ઞ કરે અને માંસ ખાય એવું ચાલવા માંડયું. આ તો અખા ભગતે કહયું તેમ ’’એરણની ચોરી અને સોયનું દાન’’. એટલે ભગવાન બુધ્ધ આગળ આવ્યા. તેમણે કહ્યું : ’’માંસ ખાવું હોયતો ભલે ખાઓ, પણ કંઇ ઇશ્વરને નામે ન ખાશો.’’એ બંને વચનોનો હેતુ એક જ હતો કે હિંસા પર અંકુશ આવે, ગાડુ ગમે ત્યાંથી આખરે સંયમને રસ્તે ચડે. કોઇ જીવ એવો નથી જેના ઉપર કોઇ દેખરેખ રાખનાર ન હોય. કુરાનમાં લખ્યું છે કે ’’શું આ લોકો પોતાના ઉપર ઊડતા પક્ષીઓને પાંખો ફેલાવતા અને સંકેલી લેતા નથી જોતાં? રહેમાન સિવાય કોઇ નથી જેણે તેમને ટેકવી રાખ્યા હોય. તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.’’ ઉપરાંત અલ્લાહે હરામ(અવૈધ) ઠરાવેલ કોઇ જીવને નાહક કતલ કરતા નથી; આ કામ જે કોઇ કરે તે પોતાના ગુનાનો બદલો મેળવશે.
વેદ શીખવે છે કે આત્મા એ ઇશ્વરી અંશ છે. આચાર્યોએ સાવધાની ઉચ્ચારી છે કે અત્યારે જે માણસ પશુંને ખાય છે, તે માણસને પછીથી પશું ખાશે.
મુરઘી કહે મુલ્લા સે, તુ ઝબ્બે કરત હે મોહે!
જબ સાહેબ લેખા માગશી, તબ સંકટ પડશે તોહે....!!
ઉપનિષદોમાં યજ્ઞતંત્રનો ઉત્સાહ ભર્યો સત્કાર થયો નથી, પણ વિરોધ થયો છે. ઉપનિષદો પશુઓના બલિનો તો ઠીક પણ દ્રવ્યોના બલિનો પણ પક્ષ લેતા નથી; પણ યજ્ઞનું આધ્યાત્મિક સ્વરૂપ કલ્પીને કે આધ્યાત્મિક અર્થદર્શન કરીને તેને ઉચ્ચત્તર ભાવનાની કક્ષામાં મૂકે છે.



ર્ડા.પ્રેમદાન ચારણ’’ભારતીય’’ લખે છે કે
દેવતત્વ તો માંસ મદિરા કી ભેટ ચઢ ગયા;
વાકઇ કિતને હૈ ઇન્સાન મૈ જાનતા નહી.
બુધ્ધ ભગવાને અહિંસાને ખૂબજ મહત્વ આપ્યું છે. તેને પહેલો ધર્મ કહયો છે. ’’અહિંસા પરમો ધર્મ’’. તેમણે કહયું છે કે દરેકે સમ્યક-દ્દષ્ટિ(a Purevision),સમ્યક-સંકલ્પ(Pure thoughts), સમ્યક-કર્મ(Pure deeds),સમ્યક-સૃષ્ટિ(Listening to sacred words)અને સમ્યક- જીવનમ્(Living a Pure life)ના ગુણો વિકસાવવા જોઇએ અને તો જ દરેક જીવ માત્રને પ્રેમ કરી શકાશે.
વાહન નીચે કુતરું કે અન્ય પ્રાણીઆવી જાય તો કેમ ચિત્કાર કરીએ છીએ? એના અને આપણામાં કાંઈક સમાન તત્વ છે તે આત્માની સમાનતા. આશ્રમમાં બીમાર વાછરડાનું દુ:ખ જોતા બાપુએ કહ્યું કે મૂંગા જાનવરને આમ પીડા સહન કરતુ રાખવું એમાં હિંસા છે.તેને મૃત્યુનો વિશ્રામ આપવો જોઈએ. બધાની નારાજગી હોવા છતાં વાછરડાને પારસી ડોકટર બોલાવી મરણ આપ્યું. આમ, સહાનુભૂતિમાંથી અહિંસાનો આરંભ થાય છે.
પૂજય મુરારી બાપુ તેમની રામકથામાં કહે છે તેમ જયારે મહાવીર સ્વામી, ભગવાન બુધ્ધ, જગદ્દગુરૂ શંકરાચાર્ય જેવા અહિંસાના પુજારીઓ વિહાર માટે નિકળતા ત્યારે તેમના પ્રભાવથી દસ,પંદર માઇલ સુધી જંગલના હિંસક પ્રાણીઓ-પશુઓ પણ હિંસા કરવાનું છોડી દેતા.
ક્રુરતા કે નઠોરતા એ અંત:સ્વભાવ નથી પરંતુ સ્વભાવના અજ્ઞાનજનિત પ્રકૃતિ નું એક વિકૃત સ્વરૂપ છે. કુદરત સાથે સહકાર હોય તે માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે.
ભયંકર માં ભયંકર પ્રાણીઓનો સ્વભાવ પણ કોમળ,મૃદુ કે માયાળુ જ હોય છે.તેની સાબિત કે તે પોતાના પરિવાર સાથે કેવા હેતાલાં- પ્રીતાલાં બનીને સમૂહમાં ગેલ કરતા જોવા મળે છે! જો સ્વભાવ જ ક્રુરતાનો હોય તો તે બધે લાગુ પડવો જોઈએ,પણ ક્યાંક આનાથી વિપરીત હોય તો તે સ્વભાવ નથી કે સ્વભાવ-જન્ય નથી પણ અજ્ઞાન-જન્ય છે.   
ગુરુ નાનકદેવને તેમના પિતાએ ખેતરની રખેવાળી માટે મુક્યા, ત્યારે પંખીઓને કહેતા...
હર કી ચિડીયા હર કા ખેત! ખાઓ મેરી ચિડીયા ભર ભર પેટ!!
પંખીઓને ઉડાડી દેવાને બદલે પંખીઓને આમંત્રીને દાણા ખાવાની મોજ કરતા જોવામાં આનંદ આવતો.
જાબાલ દર્શનોપનિષદ્દમાં કહયું છે કે
સ્વાત્મવત્સર્વભૂતેષુ કાયેન મનસા ગિરા;
અનુજ્ઞા યા દયા સૈવ પ્રોકતા વેદાન્તવેદિભિ.
અર્થાત્ ’’ વ્યકિતએ અન્ય તમામ જીવો પ્રત્યે આત્મભાવ રાખી શરીર, મન અને  વાણી ધ્વારા પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઇએ.

રમણમહર્ષિ પાસે ખિસકોલી, મોર, વાંદરા જેવા પશુ-પક્ષીઓ નિર્ભય બની ફરતાં હતાં. પોંડિચરીના શ્રી માતાજીની બાલ્કની દર્શન વખતે દરરોજ વહેલી સવારે એક કાગડો રાહ જોઇ છજા પર બેસતો અને શ્રીમાતાજી પાસેથી બિસ્કીટ લઇ ઊડી જતો. શ્રી અરવિંદે તો ચકલીને પોતાના ઓરડામાં રાખી હતી. આ ચકલી ઉંઘી જાય એટલે તેની ઉંઘમાં ખલેલ ના પહોચે તે માટે કોઇએ અવાજ ન કરવાનો. ચકલીએ બારણાના ખાચાંમાં ઈંડા મૂકયા અને બચ્ચાં મોટા થઇ ઉડી ન ગયા ત્યાં સુધી શ્રી અરવિંદે આવવા-જવા માટે એ બારણાનો ઊપયોગ ન કર્યો. એક નાનકડી ચકલી પ્રત્યે કેવી કાળજી!....કેવી સંવેદન શીલતા!....
ભગવાનશ્રી સ્વામિનારાયણે સર્વ જીવહિતાવહ ’’શિક્ષાપત્રી’’ની રચના સ્વહસ્તે કરી છે. તે માત્ર આચાર સંહિતા(code of moral conduct) નથી. એમાં તત્વજ્ઞાનનાં ઉત્તમ રહસ્યો પણ ગૂંથાયેલ છે. તેમાં અહિંસક યજ્ઞને પ્રોત્સાહન આપતાં કહયું છે. ’’દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા,મૃગલા, સરલા, માછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ કે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહયું છે. અને જે માંસ છે તે તો, યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય(દારૂ) તે દેવતાનું નૈવેધ હોય તો પણ ન પીવું.... અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આધિક જીવની હિંસા થતી હોય,તે દેવતાનું નૈવેધ ન ખાવું.... અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી, તેમણે હિંસાથી રહિત એવા વિષ્ણું સંબંધી યજ્ઞ કરવા.
આપણા અંત:કરણમાં એક બાજુ સદ્દગુણો અને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. અહિંસા અને હિંસાની સેના ઊભી છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ હોય તેમ અહીં પણ સદ્દગુણોએ પોતાનો સેનાપતિ નીમ્યો છે. એ સેનાપતિનું નામ છે –અભય. ભયભીત વાતાવરણમાં સદ્દગુણ પણ દુર્ગણ બની બેસે છે. સત્ પ્રવૃતિ પણ દુબળી પડી જાય છે. સર્વ સદ્દગુણોનો નાયક અભય છે. એ અહિંસાને કેળવવા માટેનું પહેલું પગલું છે. મનમાંથી ભયને કાઢી નાખવાનો. જો અહિંસાને પુરેપુરી સિધ્ધ કરવી હોય તો પોતાના અંતરાત્માને શુધ્ધ કરવો જોઇએ અને ઇશ્વરને સમર્પિત થવું જોઇએ. આ અભય-નિર્ભયતા આઇ શ્રી સોનલમા એ આપી..... એટલે પધ્મ શ્રી કવિ દુલા ભાયા કાગ લખે છે કે.....
માડી! તે તો ખારા રે.... ખેતરડાંને.... ખે.....ડીઆં.....
માડી! એમાં લી-લી મોલાતુ લેર્યે જાય રે....... ભેળિયાળી! તારાં..... ભા....મણાં
(હે જગદંબા! પાપ કર્મથી જેમના હદયરૂપી ખેતરો ખારા બની ગયેલા, જેમનામાં વહેમ, નિર્દયતા, અભિમાન, ભારાડી પણાએ વાસ કરેલો, એમના જીવનમાં આપે અમી છાંટો નાખ્યો, એમને દારૂ, માંસ, પશુ-બલિદાન, ધુણવાં, દોરા-ધાગા, વળગાડ વગેરેની બદીયોમાંથી છોડાવીને તેમના હદ્દયોમાં ભકિત, દયા, અહિંસા, ઉદ્દમ, પુરુષાર્થ, આતિથ્ય ધર્મની મોલાતો લહેરાતી કરી, એવા પરમ દયાળું ભેળિઆધારી આપ જગદંબાના હું વારણા લઉ છું.)

માડી! તેં તો ..... ઠારી હત્યાની હોળી, તોળાણી સત્.....ત્રા......જવે.... રે..... જી......
(હે મા! આપે પશુ બલિદાનોના રૂપમાં થતી ભયંકર હોળી-આગ ઓલવી છે.)
નિર્ભયતાથી પ્રગતિ થઇ શકે છે અને નમ્રતાથી બચાવ.
રાબીયા સંતની વાત વખતોવખત આવે છે. સ્ત્રી સંત. રાબીયાના એક શિષ્યે રાબીયાને કહયું કે રાબીયા, હું સત્યનો દરવાજો કેટલાય વર્ષોથી ઠોકુ છું, પણ દરવાજો ખૂલતો જ નથી. શું કામ ખૂલતો નથી?રાબીયાએ એમના શિષ્યને કહયું Youmay go on knocking at the door of reality for thousand years and yet the door will not open’( તુ હજારો વર્ષ સુધી દરવાજો ઠોકવાનો પ્રયત્ન કરશે, તો પણ દરવાજો નહીં ખુલે.)For the simple reason that the door has never been closed.(કારણ કે આ દરવાજો કોઇપણ દિવસ બંધ જ ન હતો.) પણ આપણી ચેતના ખુલ્લા દરવાજાને બંધ દરવાજા તરીકે જુએ છે. કેમકે એ ચેતનામાં સંવેદનશીલતા નથી. તેથી સત્યનું દર્શન થતું નથી. માત્ર દ્દશ્યનું જ દર્શન થાય છે.
તાત્પર્ય એ છે કે સત્ય અને અહિંસાનો વિકાસ નિર્ભયતા અને નમ્રતા વડે થાય છે. જે માણસને ઇશ્વર પ્રત્યે પૂરી શ્રધ્ધા ના હોય તે અહિંસાનું પૂર્ણ પાલન કરી શકે નહીં. ગાંધીજીનાં સત્ય અને અહિંસાને જોડનારૂં જે કંઇ તત્વ હતુ તે એમની ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા હતી અને તેને લીધે જ તેઓ પોતાની આંતરિક શકિત મેળવતા હતા. દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે એકવાર કસ્તુરબાની માંદગીમાં દાકતરો માંસનો સેરવો(મટનસૂપ) નહિ લે તો જીવ બચશે નહિ એમ કહયું. ગાંધીજીએ આ વાત બા ઉપર છોડી. બા એ ના પાડી. ગાંધીજીએ દબાણ કરવાની ના પાડી. બાની ઇચ્છાનો આદર કર્યો.
ભૂતદયા,માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અદ્રોહ એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાયી શબ્દો છે. પતંજલિએ સદીઓ પહેલા કરેલાં ચિંતન, મનન અને ધ્યાનના આધારે અહિંસાની એક અદ્દભુત વ્યાખ્યા આપી. તત્ સંનિધ્યો: વૈરત્યાગ:- અહિંસાના સાનિધ્યમાં આવનારને કોઇ જાતની વેરભાવના રહેતી નથી. તેઓ પોતાનું જાતિગત વૈર ત્યાગી દે છે. પરંતુ પતંજલિએ આ વ્યાખ્યા યોગીની વ્યકિતગત ભૂમિકા તરીકે કલ્પી હતી. ગાંધીજીએ ભૂમિકાનું સ્તર બદલીને સામાજીક કરી નાખ્યું. ગાંધીજી કહેતા કે માત્ર દેહને ઇજા એ જ હિંસા નથી. હિંસા માનસિક, સામાજિક કે રાજકીય પણ હોઇ શકે અને આવી હિંસા માટે શબ્દ વાપર્યો –Structural-Violence(માળખાકીય હિંસા) તેમણે વારંવાર લખીને કે બોલીને એ વાત સમજાવી કે હિંસા એટલે માત્ર છતી આંખે દેખી શકાય તેવી મારામારી કે કાપાકાપીની હિંસા નહિં. સમાજ વ્યવસ્થામાં રહેલી હિંસા પણ એટલી જ ભયાનક અને એટલી જ ત્યાજય છે. ઊંચ-નીચ ભેદભાવ, આર્થિક શોષણ, કુટુંબમાં કે સમાજમાં કે બીજે સ્ત્રીઓનું, દલિતોનું કે લઘુમતિઓનું થતું દમન એ પણ હિંસા છે.આ અહિંસા આજે આપણે જે જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે.ઉતાવળ હિંસા છે.મિથ્યા ભાષણ હિંસા છે.દ્વેષ હિંસા છે. કોઈનું બુરું ઇચ્છવું હિંસા છે.ચાડી કરવી હિંસા છે. અને જગતને જોઈએ છે તેનો કબજો રાખવો એ પણ હિંસા છે.
અહિંસાને ગાંધીજી માનવીય ધર્મ માનતા. બિડીની પડેલી ખોટી ટેવ, દેવુ પુરૂ કરવા ભાઇનું કડું કપાવવું એ વાતની ભુલની પિતા પાસે કબુલાત અને પિતાની આંખમાંથી અમૃત બિંદુ સરી પડવા, ચિઠ્ઠી ફાડી નાખવી અને ચૂપચાપ પથારીમાં પડયા રહેવુ તે વખતે ગાંધીજીએ એ વાતનોઉંડો અનુભવ કર્યો કે જો બે વ્યકિતઓ વચ્ચે પ્રેમનો સંબંધ હોય તો એકની વેદના કોઇ પણ શબ્દના ઉચ્ચારણ વિના બીજાના હૈયા સોંસરવી પેસી જાય છે. સત્યાગ્રહમાં સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાનો વિચાર મૂળ આ અનુભૂતિમાંથી જન્મ્યો. અજુગતી આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઇએ?? એ વિચાર એમના કસ્તુરબા પ્રત્યેનો ઘણીપણામાંથી આવ્યો. આ વિષયમાં કસ્તુરબાની જે પ્રતિક્રિયા હતી તે ગાંધીજી માટે અહિંસાનો પદાર્થ પાઠ થઇ રહી. આમાંથી નીપજયો સત્યાગ્રહમાં સવિનય કાયદાભંગનો સિધ્ધાંત અન્યાયનો અસ્વીકાર અને પ્રતિકાર....
બદલો લેવાથી ઉત્તરોત્તર હિંસા વધતી જાય છે.તંત્રનો વિરોધ કરો વ્યક્તિનો નહી. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાને કહ્યું છે કે અમને ગાંધીજીએ મોટામાં મોટી વાત જો શીખવી હોય તો અહિંસાની. પઠાણ જાતિ અંદરોઅંદર ઝગડી એકબીજાને ખતમ કરતી હતી. ’એણે ગોળીએ દીધો હતો મારા બાપુને, એટલે હું ગમે તે દિવસે એને ગોળીએ દઈશ.’ એમ પેઢી દર પેઢી હિંસા ચાલ્યા કરતી. એમાંથી પઠાણ લોકોને બચાવ્યા. ખાનસાહેબે એ વાત માની કે આખી પઠાણ કોમને ગાંધીજીએ બચાવી લીધી. અહિંસા ના હોત તો અમે એક બીજાને મારીને ખલાસ થઈ ગયા હોત. ગાંધીજી માણસ વ્યવહારના આધારે આગળ વધતા હતા. કામ કરતા ગયા પણ સિદ્ધાંત લખ્યો નહી.તેઓ વિચારતા હતા કે એક અહિંસક દેશની ઉપર કોઈ બીજા હિંસક દેશો આક્રમણ કરે તો આખી દુનિયાની સહાનુભૂતિએ અહિંસક દેશને મળે.
આપણે અહિંસાના એક વિશેષ ગુણનો વિચાર પણ કરી લેવો જોઈએ. અહિંસા એ સક્રિય શક્તિ છે એ શક્તિને સમાજને બદલવામાં ઉપયોગી થઇ શકે છે. હિંસા કદી વ્યાપક જનતાનું સાધન બની શકતી નથી. હિંસા વ્યાપક બંને તો તેનાથી આંતરવિગ્રહ કે અંધાધુંધી જ ફેલાય.પ્રજા લાચાર, પાંગળી અને ગુલામ બની જાય છે.અહિંસા એવી શક્તિ છે કે જેમ જેમ વ્યાપક બનતી જાય તેમ તેમ સમાજમાં વધુમાં વધુ ઉત્સાહ પ્રેરતી જાય છે. તે લોકોની ક્રાંતિકારી શક્તિ બની શકે છે, સાહસ,હિંમત વધે છે;કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક આવડે છે;અભિમાન ઓછું થાય છે, નમ્રતા વધે છે, પરિગ્રહ ઓછો થાય છે; ને દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે. અને એટલેજ તો ગાંધીજીના અહિંસક આંદોલનોમાં સ્રી-પુરુષ,નાના-મોટા,ગરીબ-તવંગર,વૃદ્ધો,બીમારો અને બાળકો પણ પોતપોતાની રીતે ભળી શકતા.આ આંદોલનો જો શસ્ત્રોને બળે ચાલતા હોત તો એમાં ભળનારાઓનો વ્યાપ આટલો મોટો કદી ન થઇ શક્યો હોત. જાપાન પર પરમાણુ બોમ્બો ઝિંકાયા ત્યારે પત્રકારોએ અહિંસા પરના વિશ્વાસ અંગે પૂછતાં ગાંધીજીએ  જવાબમાં જણાવ્યું કે અહિંસા વિષેની મારી શ્રદ્ધા વધી છે અને તેના સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અમેરિકન શાંતિવાદી નેતા, માર્ટિન લ્યુથર કિંગે (જુનિઅર) આના વિષે એક સાવ સાચી અને માર્મિક ટીકા કરી હતી કે હવે દુનિયા પાસે માત્ર કાં અહિંસા, કાં આત્મનાશ (Either Non-violence or Non-existence) બે જ વિકલ્પો રહ્યા છે.  
કેરળમાં’સર્વ શિક્ષા અભિયાન’હેઠળ એક નવો જ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને રોજ માનવ માટે ઉપકારી પ્રાણીઓ,તેઓ જે પર્યાવરણમાં વસે છે તેમના પ્રત્યે માનથી વર્તવાના પાઠ ભણાવશે અને સમાજપયોગી પશુ-પક્ષીઓ પ્રત્યે ‘જીવદયા’ દાખવવા શીખવી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવાશે.એમ કહેવાય છે કે, જ્યારે તમે બાળકને એક ઉંદર પ્રત્યે દયા દાખવવા કહો છો ત્યારે તમે તમારા બાળકનું અને ઉંદર બંનેનું સરખું કલ્યાણ કરો છો, ઈચ્છો છો.
આજે જયારે સંહારક શસ્ત્રો આખી માનવજાતને એક નહીં પણ અનેકવાર મારી શકે એવી અવસ્થામાં છે ત્યારે માનવજાતને ઊગરવાનો રસ્તો અહિંસાનો જ હોઈ શકે એવી પ્રતીતિ કેટલાક લશ્કર વાળાઓ સહીત દુનિયાના અનેક ચિંતકોને થઇ ચુકી છે.વિજ્ઞાનની શોધો આત્મઘાતી દિશા તરફ જનારી નહીં પણ આત્મોદ્ધારક અને આધ્યાત્મિક અહિંસા તરફ વળવી જોઈએ એની ખાતરી કેટલાકને થાય છે.....,બીજાને ઠોકર ખાઈને થશે.....
 વિશ્વધર્મના આ અભિજાત વિચારને અમલમાં મુકવામાં, હિંદુઓ જેને બ્રહ્મ કહે છે તે, જરથોસ્તીઓ જેને અહુરમઝૂદ કહે છે તે,બૌદ્ધધર્મીઓ જેને બુધ્ધકહે છે તે, યહૂદીઓ જેને જિહોવા કહે છે તે અને ખ્રિસ્તીઓજેને સ્વર્ગના પિતા કહે છે તે, સહુ આપણને પુરતી શક્તિ આપો.
સતીષ શામળદાન ચારણ
(મો.)૯૪૨૮૨ ૧૯૦૩૧

Email: sscharan_aaa@yahoo.co.in

Tuesday, 11 August 2015

કેવળ સત્યના આજીવન સાધક ગાંધી ( તા.14 જુલાઈ,2015ના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ)

કેવળ સત્યના આજીવન સાધક ગાંધી 
મહર્ષિ પાતંજલીએ યોગને આઠ ૫ગથીયામાં વહેચ્યો છે. અષ્ટાંગ યોગનું પ્રથમ ૫ગથિયું છે-‘યમ’. યોગદર્શનનો પાદ-ર, સુત્ર ૩૦માં યમ સંબંધમાં જણાવ્યુ છે કે,’’અહિંસા સત્યાસ્તેય બ્રહમચર્યા પરિગ્રહા યમા:’’ અર્થાત્,“અહિંસા,સત્ય, અસ્તેય, બ્રહમચર્ય અને અ૫રિગ્રહ આ પાંચ યમ છે”. આ માટે બૌધ્ધ ભાષામાં ‘પંચશીલ’ શબ્દ વપરાયો છે. જૈનોએ મહાવ્રત કહયાઅને ગાંધીજીએ તેને વ્રત નામ આપ્યું. આ પાંચ વ્રતો એવાવ્રતો છે કે જેના ગાંધીજીએ વર્ષોથી નામ સાંભળેલા છે. એમાંતેમણે કોઇ નવો શબ્દ વાપર્યો નથી. પણએ શબ્દનો અર્થ ગાંધીજીએનવો ઘટાવ્યો છે. ગાંધીજીએ વ્રત એટલા માટે કીધું કે નિયમ તો એકવાર જે લીધેલો હોય તેનું કામ પુરૂં થાય ત્યારે બદલી ૫ણ શકાય જયારે વ્રત એ આખું જીવન વળગી રહેવાનો વિષય છે. હિંદુસ્તાનમાંથી નીકળેલી ત્રણ દાર્શનિક ધારાઓ-વૈદિક, બૌધ્ધિક અને જૈનમાં૫ણ આ પાંચ યમ-વ્રતોનો વિચાર કોઇકને કોઇક સ્વરૂપે જોવા મળે છે. ગાંધીજીએ આગળ જતાં એ ૫ણ નોંધ્યું છે કે માત્ર હિંદુસ્તાનમાંથીનીકળેલાંવ્રતો નહીં ૫ણ બીજા ધર્મોના ભકતો-શિષ્યો માટે જે કોઇ નિયમો સૂચવ્યા એના શબ્દો કંઇક જુદા વા૫ર્યા હોય ૫ણ તેનો અર્થ આ પાંચ યમ-વ્રતની અંદર સમાઇ શકે તેવા જ હતા.
આ વ્રતો ગાંધીજીના આધ્યાત્મિક વિચારના પાયારૂપ તો છે જ, ૫ણ તેએટલું જ સિમીત ન રહેતા એમના સમગ્ર જીવનને સ્પર્શે છે. ગાંધીજી જે પરિવારમાં ઊછર્યા અને મોટા થયા, એ પરિવારચુસ્ત વૈષ્ણવ પરિવાર હતો. તેમાં વ્રતનો વિચાર સ્વાભાવિક વસ્તુ હતી. તેથી એમ કહી શકાય કે તેમને વ્રત-વિચાર ગળથૂથીમાં જ મળેલા હતા. ઉપરાંત, ભારતીય સંસ્કૃતિમાં ૫ણ જે વ્રત-વિચાર, પ્રતિજ્ઞાઓની ઋષિ-મુનિઓએ વાત કરેલી છે, એ ગાંધીજીના રકતમાં ભારતીય સંસ્કૃતિ મારફતે પણ આવ્યું હતું. આમ, આ વ્રતોના મૂળમાં ઊંડે ઊંડે ગાંધીજી જે પરંપરાગત વાતાવરણમાં ઉછર્યા તેના સંસ્કારો કામ કરતા હશે તેમ કહી શકાય.વ્રત એ તેમના જીવનમાં શિસ્તની આચારસંહિતા સમાન હતા.
માતા પુતળીબાઈના જીવનમાં વ્રતો વ્યકિતગત શિસ્ત અને આલોક કરતાં ૫રલોકના પુણ્ય સારુ વધુ સંકળાયેલા હતા. જયારે પુત્રને આલોક જોડે નિસ્બત હતી. વ્રતો વ્યકિતએ સ્વેચ્છા અને નમ્રતાપૂર્વક આચરવાનાં તો હતાં જ પરંતુ તે વૈયક્તિક ન રહેતા સમાજવ્યાપી બને તેવી ગાંધીજીની કલ્પના હતી. સત્ય, અહિંસાના ગુણો વ્યકિતગત ગુણો ન રહેતા સામૂહિક ગુણો બને એમ તેઓ ઇચ્છતા. કારણ કે છેવટે સમાજ તો વ્યકિતઓનો બનેલો છે. તેમણે એક ઠેકાણે વ્રત પાળવા બાબતે કીધું છે કે માણસ જો ખાડા-ટેકરાવાળા કાચા રસ્તા પર ચાલવા કરતાં સપાટસડક ૫ર ચાલે તોતેને ચાલવામાં જેવી સુગમતા લાગે એવી સુગમતા વ્રતધારીને પોતાના જીવનમાંવ્રતો પાળવાથી મળે. ગાંધીજીના આ વ્રતો માત્ર કેટલાક સાધકોની વ્યકિતગત સાધનાનો વિષય નહીં ૫ણ આખા રાષ્ટ્રના અહિંસક આંદોલનના ઓછા વત્તા પ્રમાણમાં પ્રેરકતત્વ બની રહયા. આ વ્રતો રાષ્ટ્રીય પાસું હતા. સમગ્ર રીતે જોતા આ વ્રતોકોઇ અહિંસક આંદોલન અંગે ગાંધીજીના અનુભવોને આધારે યોજનાપૂર્વક ઘડેલા નહી ૫ણ અંત:સ્ફૂર્ત વ્યુહરચનાનો એક અનિવાર્ય ભાગ હતો.
ગાંધીજીએ આશ્રમના અગિયાર વ્રતોમાં પ્રથમ સ્થાન સત્યને આપ્યું હતું. તેમના વ્રતોમાં કેન્દ્રિય વિચાર સત્યના વ્રતનો હતો. એ જ એમના આખા જીવનની શોધનો વિષય હતો.અને એ શોધ ઉ૫ર જ પોતાના ચરિત્રને ઘડયું હતું.
“ જે વસ્તુ જે રૂપમાં છે તેને તેજ રૂપમાં કહેવી તે સત્ય ’’. વ્યાપક અર્થમાં જોઇએ તોજેનાથી હિત થાય તે સત્ય અને જેનાથી અહિત થાય તે અસત્ય છે. પરંતુ ગાંધીજીના મનમાં સત્યનો અર્થ સામાન્ય જનતા કરતી તેના કરતા વધુ ઊઁડો અને વિશાળ હતો. અને અનુભૂતિના આધારે તે વધુને વધુ અર્થસભર થતો ગયો. સામાન્ય માણસ કરે તેમ ગાંધીજીએ ૫ણ નાન૫ણમાં સત્યનો અર્થ ‘સાચું બોલવું’ એટલો જ કર્યો હશે. ૫ણ જે અર્થ કર્યો તેનું તેમણે નાન૫ણથી જ સહજ, અનાયાસ રીતે પાલન કર્યું. મોટ૫ણમાં વિનોબા જેવા સૂક્ષ્મનિરીક્ષકે ૫ણ આ વાતની નોંધ લીધી કે ‘બાપુ એ મારી પરીક્ષા લીધી કે નહીં એ હુંજાણતો નથી, ૫ણ મેં તો પહેલી મુલાકાતથીજ એમના દરેક વ્યવહારને બારીકાઈથી તપાસ્યો હતો, અને સત્યની કસોટીમાં તેમને સોટકાથી એક ટકો ૫ણ ઓછા ગુણ મળ્યા હોત તોએમની સાથે હું રહી શકયો ન હોત’.
બાળક વિશે માતા-પિતા, લોકો જે અભિપ્રાય આપે છે અને એ અભિપ્રાય કોઇકવાર બાળકને ૫ણ જણાવે છે કે “મારો દિકરો તોફાની છે”. “ડાહયો છે”.“અશાંતિ કર્યા કરે છે”. “બીજા આવે ત્યારે ચૂ૫ રહે છે”. ત્યારે નાનો બાળક પોતે કેવો છે, એવો વિચાર કરતો થાય છે. અને એ એવો બનવાનો ૫ણ પ્રયત્ન કરતો હોય છે. ગાંધીજીને બાબતે વિચારતા કરવામાં તેમના મા પુતળીબાઇ,રંભાદાસી અને એમના પિતાનો હિસ્સો છે.
નાનપણમાં શેખ મહેતાબની સોબતને લીધે ગાંધીજીએ અવારનવાર માંસભક્ષણ કર્યુ હતું તે વાત તેમની આત્મકથામાં છે. જે દિવસે માંસ ખાધું હોય ત્યારે સ્વાભાવિક રીતે ઘરમાં ભોજન ઓછું ખવાય અને મા પૂછે તો કહે આજે ભૂખ નથી. એટલે વાણીના સત્યનું પાલન થતું ૫ણ તેમને વિચાર આવ્યો કે ભૂખ ન હોવાનું મુખ્ય કારણ તો તેમણે છુપાવ્યું હતું.”જુઠુ બોલવુંઅને તે મા આગળ?’’ આમ, તેઓને સત્યની પાછળ છુપાયેલું અસત્ય ૫ણ દેખાઇ ગયું. સત્યની વ્યાખ્યા વાણીથી વિચાર સુધી પહોચી ગઇ, અને પછી આચરણ સાથે ૫ણ... આમ, ગાંધીજીની સત્યની વ્યાખ્યા મનસા, વાચા, કર્મણા સુધી જઇને સ્થિર થઇ.
સેવાગ્રામમાં ગાંધીજીએ “મનમાં ૫ણ અસત્યનો વિચાર ના આવવા દેવો”,આવું પાટીયા ૫ર લખ્યું હતું. માણસ બોલવાથી જ નહીં, ઇશારાથી ૫ણ જૂઠું બોલી શકે છે. છોકરાઓ સંતાકુકડી રમતા હોય ત્યારે ઇશારાથી આ બાજુને બદલે બીજી બાજું દેખાડે, તે ૫ણ અસત્ય છે. વિચારથી જૂઠું બોલી શકે છે. આ બધા વિચારો તેઓ નાન૫ણથી કરવા માંડેલા. હરિશ્ચંદ્ર નાટક જોઇ ’’બધાં કાં હરિશ્ચંદ્ર ના બની શકે?’’ એવો વિચાર એમને આવ્યો.હરિશ્ચંદ્રે આખું જીવન સત્યની ખાતર કષ્ટ સહન કર્યુ હતું. હું પણ સત્યની ખાતર કષ્ટ સહન કરીશ- આવો જ વિચાર ગાંધીજીએ કર્યોહોત તો ઘણાં મોટો વિચાર કર્યો એમ કહેવાત. ૫ણ એમ ન વિચારતા “સમાજમાં બધાં કેમ સત્યવાદી ન બની શકે?’’, ઘરમાં સત્ય અને બજારમાં અસત્ય, ગાંધીજી સત્યને ટુકડા કરીને નહોતા જોતા,સમગ્ર ૫ણે જોતા. એમણે સત્યને સામાજિક રૂપ આપ્યું કારણ કે અત્યાર સુધી અને હજી ૫ણ સમાજમાં સત્યએ વ્યકિતગત ગુણ જ ગણાય છે.
શ્રીમદ્ રાજચંદ્રના સપંર્કથી ગાંધીજીને સ્યાદવાદ અથવા અને અનેકાંતવાદ સમજાયો. માણસને જે સત્ય જણાય છે તે હંમેશાં પરમ સત્ય ના ૫ણ હોય. એ સત્યનું બીજું પાસું ૫ણ હોઇ શકે. આ વિચાર તે સ્યાદવાદ અથવા અનેકાંતવાદ. આમ, ગાંધીજી જયાં સુધી સત્યનું બીજું પાસું ન સમજાય ત્યાં સુધી તો પહેલા પાસા ઉપર મકકમ રહેવું, ૫ણ બીજા પાસાને સમજવા મન ખુલ્લું રાખતાશીખ્યા. આ સત્ય તરફનું એમનું આગળનું પગલું.
“ હું ખોટો છું એવી જયાં સુધી મને ખાતરી થાય નહીં ત્યાંસુધી હું મારા સત્યને વળગી રહીશ ૫ણ મને જેવું એમાં ખોટું લાગશે, તેવું હું તેને છોડી દઈશ ’’ એવો ગાંધીજીએ નિશ્ચય કર્યો હતો. તેનો દાખલોજોઇએ તો એમણે દેશમાં શરાબથી થતું નુકસાન જોયું એટલે કોંગ્રેસને એક કાર્યક્રમ આપ્યો કે જે ઝાડમાંથી તાડી- જે શરાબ કરતાં ઓછી માદક હોય છે, તેવા તાડના વુક્ષોને કાપવા, ૫ણ એમને પાછળથી ખબર પડી કે આમાંથી તો સારામાં સારો ગોળ થાય છે. એટલે કે ઝાડ કા૫વાનું બંધ કર્યું. એ વખતેએમને એમના થયું કે મેં એકવાર જે કહયું છે તેને કેમ બદલવું ?. આમ, પરિવર્તન ધ્વારાતે સત્યને વધુ સમજતા હતા.
લાહોરની જેલમાં જયપ્રકાશજીને અંગ્રેજ અમલદારોએ અનેક પ્રકારની પીડાઓ આપી. ભુગર્ભવાસમાં એમના સાથીઓ કોણ કોણ હતા, તે વિશે પુછતા જયપ્રકાશજીએ કીધું કે ’’ તમારા બધા પ્રશ્નોના જવાબ હું જાણું છું ૫ણ મને મારી નાખોતો ૫ણ એકે નો જવાબ આ૫વાનો નથી. ’’ ગાંધીજીએ આને વીરની સત્યવાણી કીધી છે.
શ્રી નારાયણભાઇ દેસાઇ એક કિસ્સો ટાંકતા કહે છે કે ગાંધીજીએ ગુજરાતના એક જાણીતા સાહિત્યકારના ૫ત્રનો જવાબ પોતે આપે છે તે રીતે જવાબનો ખરડો ઘડવા તેમને કામ સોંપ્યુ. તેમણે નમ્રતા દેખાડવા શરૂઆતમાં ‘પ્રિય કવિવર’ એવોશબ્દ વાપર્યો. ગાંધીજીએ નારાયણભાઇના કાન ૫કડયા અને પૂછયું કે “ ખરેખર તું એમને કવિઓમાંશ્રેષ્ઠ ગણે છે?”. અને તેઓ કબુલાત કરેતે પહેલા ગાંધીજીએ’’ અનાવશ્યક વિશેષણમાં ૫ણ અસત્ય હોઇ ન શકે ’’વાકય કહેલું અને આથી ગાંધીજીના સમગ્ર સાહિત્યમાં અનાવશ્યક વિશેષણો આ૫ણને ભાગ્યે જોવા મળે છે.
ગાંધીજી એમ માનતા કે સત્યની શોધ જેટલો કઠણ વિષય છે, તેટલો જ સરળ વિષય ૫ણ થઇ શકે છે. એ સમજાવતા તેઓ કહે છે કે સત્યની શોધ અહંકારી- અભિમાનીને અશકય લાગે અને એક નિર્દોષ બાળકને સાવ સહજ લાગે.
ગાંધીજીના આખા જીવનની શોધ એ સત્યની શોધ છે. અનુભવોના આધારે તેઓને એ પ્રતીતિ થઇ કે શાંત પળોમાં અને ઊંડી પ્રાર્થનાને અંતે તેમને ભીતરથી જેઆત્માનો અવાજ સંભળાય છે એ સત્યનો અવાજ છે. આમ, તેઓ અત્યાર સુધી “ઈશ્વર સત્ય છે’’ માનતા હતા. તે એમને“સત્ય એ જ ઈશ્વર છે.’’ તેમ સમજાવા લાગ્યું.
ગાંધીજી એ ‘સત્ય’ ને વાણીનું વિશેષણ નહોતું બનાવ્યું. તેઓ સત્યપારાયણ હતા.

આમ, સત્ય ગાંધીજીની શકિતનું મુળ સ્ત્રોત હતું. તેઓ પોતાને સત્યના પૂજારી કહેતા. તેઓ કહેતા કે “સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું”. એક વૈજ્ઞાનિકની માફક તેમનું આખું જીવન સત્ય શોધક જેવુંરહયું. એમના વ્રતોના સૂર્યમંડળમાં સત્ય સૂર્ય હતું. અન્યવ્રતો ગ્રહો-ઉ૫ગ્રહો હતા. ગાંધીજી જે સમાજ બનાવવા માંગતા હતા, તેનું મધ્યબિંદુ સત્ય હતું. સત્ય ગાંધીજીનો અંતરાત્મા હતું. ઇતિહાસના તમામ આરોહો-અવરોહોની પાછળ ટકાઉ તત્વ તો ભારતની સત્યનિષ્ઠા જ હતી. જે વીસમી સદીમાં ગાંધીરૂપે પ્રગટ થઇ.સુપ્રસિધ્ધ વિચારક અને કટારલેખક પધ્મશ્રી ગુણવંતભાઇ શાહે જણાવ્યું છે કેમાણસ હ્રદયમાં ચાર ભાગ હોય છે. ગાંધીજીના હ્રદયના આ ચાર ભાગો સત્ય, અહિંસા,અભય અને સાધન શુધ્ધિથી પૂર્ણ હતાં.
ગાંધીચીંધ્યા માર્ગે  આંદોલનો થાય છે પણ એ માર્ગે સત્યની શોધ કેમ થતી નથી? 
( મારો આ લેખ તા.14 જુલાઈ,2015ના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ)